બોલિવૂડના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું વ્યક્તિત્વ એકબીજાથી તદ્દન અલગ છે, અને આ વાત સ્વયં જયા બચ્ચન પણ સ્વીકારે છે. મુંબઈમાં આયોજિત ‘વી ધ વુમન’ (We The Women) ઈવેન્ટમાં જયા બચ્ચને પોતાના અને અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ વચ્ચેના તફાવત વિશે ખુલીને વાત કરી હતી. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “અમે બંને અલગ છીએ એટલે જ સાથે છીએ. જો મેં મારા જેવી જ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોત, તો તે ક્યારનો વૃંદાવન પહોંચી ગયો હોત.”
અમિતાભ બચ્ચનની આ ખાસિયત છે જયાને પસંદ ઇવેન્ટ દરમિયાન જ્યારે જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે તેમને અમિતાભની કઈ બાબત સૌથી વધુ ગમે છે, ત્યારે તેમણે કહ્યું, “મને તેમનું શિસ્ત (Discipline) સૌથી વધુ પસંદ છે. હું પોતે પણ શિસ્તની મોટી હિમાયતી છું અને એક કડક માતા પણ રહી છું.”
તેમણે આગળ કહ્યું, “અમિતાભ બચ્ચન બહુ બોલતા નથી. તેઓ મારી જેમ ગમે ત્યારે પોતાની પ્રતિક્રિયા કે અભિપ્રાય આપવા માટે તત્પર રહેતા નથી. તેઓ પોતાના વિચારો પોતાની પાસે જ રાખે છે, પરંતુ તેમને એ બરાબર ખબર છે કે યોગ્ય સમયે અને યોગ્ય રીતે પોતાની વાત બીજા સુધી કેવી રીતે પહોંચાડવી. જ્યારે હું આવું નથી કરતી, અને આ જ અમારા બંને વચ્ચેનો મોટો તફાવત છે.”
આ કારણે કર્યા હતા અમિતાભ સાથે લગ્ન જયા બચ્ચને તેમના લગ્ન વિશે વાત કરતા કહ્યું, “તેઓ એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે, કદાચ એટલે જ મેં તેમની સાથે લગ્ન કર્યા. તમે કલ્પના કરો કે જો મેં મારા જેવી જ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોત તો શું થાત? તે વ્યક્તિ ક્યારનો વૃંદાવન જતો રહ્યો હોત અને હું ક્યાંક બીજે હોત.”
લગ્નની રોચક કહાની જયા અને અમિતાભ બચ્ચનના લગ્નને 52 વર્ષ થઈ ગયા છે. 3 જૂન 1973ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમની લવ સ્ટોરી ફિલ્મોના સેટ પર શરૂ થઈ હતી. 1973માં ફિલ્મ ‘ઝંઝીર’ હિટ થયા બાદ આખી ટીમે લંડન જવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારે અમિતાભ બચ્ચને શરત મૂકી હતી કે જો લગ્ન થશે તો જ તેઓ જયાને સાથે લઈ જશે. બસ પછી શું, બંનેએ લગ્ન કરી લીધા અને લંડન રવાના થઈ ગયા.
